હળવદ : હળવદના સેવાભાવી અગ્રણી, ગૌભક્ત અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના 35મા જન્મદિનને યાદગાર અને પ્રેરણાદાયી બનાવવાના શુભ આશય સાથે હળવદ ખાતે એક વિશાળ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન ગરમીના દિવસોમાં બ્લડ બેંકોમાં લોહીની વધતી જતી અછતને ધ્યાને રાખી, જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય પ્રકલ્પ હાથ ધરાયો છે.
રક્તદાન કેમ્પની વિગત
આ રક્તદાન શિબિર આગામી તા. 28 એપ્રિલ ને મંગળવારના રોજ સાંજે 4 થી 8 કલાક દરમિયાન બજરંગ બેન્કવેટ હોલ (AC), આગમન પાર્ટી પ્લોટ સામે, મોરબી-માળિયા ચાર રસ્તા પાસે, હળવદ ખાતે યોજાશે.
વિવિધ હોપિટલમાં મોકલશે બ્લડ
આ શિબિર દરમિયાન એકત્રિત કરવામાં આવનાર રક્તનો જથ્થો સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, સિવિલ હોસ્પિટલ-મોરબી, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ-સુરેન્દ્રનગર), શ્રી રામ બ્લડ સેન્ટર-ધ્રાંગધ્રા તેમજ શ્રી સંસ્કાર બ્લડ બેંક-મોરબી ખાતે સારવાર હેઠળના દર્દીઓ માટે મોકલવામાં આવશે.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા આયોજન
આ આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ (હળવદ શહેર/ગ્રામ્ય), યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ-હળવદ, છોટાકાશી હળવદ યુવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, દિલ સે ફાઉન્ડેશન, HPL ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા આઈ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ (ગોરી દરવાજા) જેવી વિવિધ સંસ્થાઓ ખભેખભા મિલાવી સહયોગ આપી રહી છે.
રક્તદાન કરવા સૌને અપીલ
આયોજકો દ્વારા હળવદ શહેર અને તાલુકાના તમામ યુવાનો તેમજ રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે કે, રક્તદાન કરી કોઈના જીવનના દીવડાને પ્રજ્વલિત રાખવાના આ સેવાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાય. શિબિર અંગેની વધુ વિગતો માટે સંપર્ક નંબર: 9374228537, 8000848444, 9512312112,6351694344, 9601086033, 9601378505 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.









