મોરબીમાં નોંધાયેલા ચકચારી સાઇબર ફ્રોડ કેસમાં આરોપીઓને શરતી જામીન મળતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વ આયોજન સાથે કાવતરું રચી વિવિધ એજન્ટોની મદદથી લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સાઇબર ફ્રોડના નાણા જમા કરાવ્યા હતા. બાદમાં આ રકમ ચેક મારફતે ઉપાડી રોકડ રૂપે ફેરવી ગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે બી.એન.એસ. અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપી ભરતભાઈ પરસોતમભાઈ બારડની ધરપકડ કરી હતી.
આરોપી ભરતભાઈ બારડ દ્વારા જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આરોપી તરફથી સિનિયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફતે મજબૂત કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી તેમજ સુપ્રીમ કોર્ટના સંબંધિત ચુકાદાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર હાઈકોર્ટે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી અને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી પક્ષ તરફથી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા સાથે મોરબીના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, રવી ચાવડા, કનૈયાલાલ બાવરવા, હસમુખ ચાવડા, કૃષ્ણા જારીયા, મહેશ્વરી મકવાણા અને જ્યોતિકા કુરીયા સહિતના વકીલો દ્વારા પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.








