મોરબી: મોરબી જિલ્લામાં વિધવા તથા નિરાધાર વિકલાંગ લાભાર્થીઓને લાંબા સમયથી પેન્શનની રકમ ન મળતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મોરબી જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
સામાજિક કાર્યકરો દ્વારા કરાયેલી રજૂઆતમાં આક્રોશ સાથે જણાવવામાં આવ્યું છે કે, આ બાબતે અગાઉ પણ અરજીઓ કરવા છતાં હજુ સુધી પેન્શન મળેલ નથી. જો સરકારી નેતાઓ અને અધિકારીઓનો પગાર 1 તારીખે જમા થઈ જતો હોય, તો આ વિધવાઓ અને નિરાધાર લોકો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવે છે? હાલમાં કેટલાક ગરીબ લોકો પાસે ભાડા તથા ખાવાના પૈસા પણ બચ્યા નથી, ત્યારે માનવતાના ધોરણે આ બાબતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.
તંત્રને ખુલ્લી ચીમકી આપતા લેખિતમાં જણાવાયું છે કે, જો 15 દિવસમાં આ લોકોનું પેન્શન નહીં આવે તો તમામ વિધવા, સૂરદાસ, વિકલાંગ અને નિરાધાર લોકોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
રજૂઆતમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, અનેક લાભાર્થીઓની અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં બેન્ક કે પોસ્ટ ખાતામાં પેન્શન જમા થતું નથી. કેટલાક કિસ્સાઓમાં તો વર્ષોથી પેન્શન અટવાયેલું છે અને લાભાર્થીઓને કચેરીઓના ધક્કા ખાવા છતાં સંતોષકારક જવાબ મળતો નથી. પેન્શન એ આ નિરાધાર વર્ગના જીવનનિર્વાહનો એકમાત્ર સ્ત્રોત છે અને તેના વગર તેઓને ખોરાક, દવાઓ અને રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ગંભીર આર્થિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે અટકેલી પેન્શનની રકમ વહેલી તકે લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થા કરવા અને ભવિષ્યમાં આવો વિલંબ ન થાય તે માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઈ અને ગીરીશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવી છે.








