મોરબીમાં સ્વ. ધરમશીભાઈ દેવજીભાઈ પરમારની 25મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સતવારા સમાજની વાડી, કાલિકા પ્લોટ ખાતે 27 મેના રોજ આ કેમ્પ યોજાયો હતો.
આ સેવાકીય કાર્યમાં 60 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ. ધરમશીભાઈ પરમારને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. સમાજને પ્રેરણા પૂરી પાડતા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં કિશોરભાઈ પરમાર, હિરેનભાઈ પરમાર, પ્રમુખ હરિનભાઈ પરમાર, પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયા, અરવિંદભાઈ કંઝારિયા સહિત સતવારા નવગામ જ્ઞાતિ – મોરબી અને મોરબી સતવારા મંડળના કાર્યકરો તથા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર રાણપરા, કોર્પોરેટર દેસાઈભાઈ, રાજુભાઈ ડાભી અને કે. કે. પરમારે ખાસ હાજરી આપીને રક્તદાતાઓ અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ ધરમશીભાઈ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રક્તદાતાઓ તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.











