- ગૌવંશની સારસંભાળ અને સુવિધાઓ અંગે મેળવી ઉંડાણપૂર્વકની માહિતી
- જીવદયાના કાર્યોને વધુ વેગ આપવા મેયરશ્રીનો સકારાત્મક અભિગમ
મોરબી:
મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત અને ઉત્સાહી યુવા મેયર શ્રી ઉત્તમ સુરાણીએ આજે મોરબી ખાતે આવેલ પ્રખ્યાત ‘નંદીધર ગૌશાળા’ની સદ્ભાવના મુલાકાત લીધી હતી. પદભાર સંભાળ્યા બાદ જીવદયાના કાર્યોને પ્રાથમિકતા આપતા મેયરશ્રીએ ગૌશાળાની વ્યવસ્થાઓનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન મેયર શ્રી ઉત્તમ સુરાણીએ ગૌશાળામાં આશ્રય મેળવી રહેલા ગૌવંશ માટેના શેડ, લીલા-સૂકા ઘાસચારાની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સગવડ તેમજ માંદી અને અશક્ત ગાયોની સારવાર માટેની તબીબી સુવિધાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. ગૌશાળાના સંચાલકો અને સેવકો સાથે સંવાદ સાધીને તેમણે દૈનિક કામગીરી અને વ્યવસ્થાપનમાં આવતા પડકારો વિશે પણ ચર્ચા કરી હતી.
યુવા મેયર શ્રી ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે:
“ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન સર્વોપરી છે. નંદીધર ગૌશાળા દ્વારા ગૌવંશની જે નિઃસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે તે ખરેખર વંદનીય છે. મહાનગરપાલિકા તરફથી જીવદયાના આવા ઉત્કૃષ્ટ કાર્યોમાં અને ગૌશાળાની વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે શક્ય તમામ સહયોગ આપવામાં આવશે.”












