મોરબી : મોરબીના જેતપર ગામમાં વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વધુ તેજ બની રહ્યું છે. ‘જય જવાન જય કિસાન’ ના નારા સાથે શરૂ થયેલા જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-2માં આમરણાંત ઉપવાસમાં આજે ત્રીજા દિવસે ઉપવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડૂતો પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ આંદોલનમાં ગઈકાલ સુધી 6 લોકો આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. જેમાં મહંત કૈલાશગિરી ગુરુ મહાદેવગીરી, રતિલાલ શિવલાલ અમૃતિયા, નેહુલ ધીરજલાલ અમૃતિયા, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા, નિલેશભાઈ એરવાડિયા, નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારાનો સમાવેશ થાય છે. પરંતુ આજે આ આંદોલનમાં નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા, મોતીમા મગનભાઈ જાકાસણીયા આ 3 બહેનો પણ જોડાઈ છે અને તેઓ પણ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. આ બહેનોએ પણ અન્નનો ત્યાગ કરી આંદોલનમાં જોડાતા તંત્ર સામેનો વિરોધ વધુ મજબૂત બન્યો છે. હાલ ખેડૂતો અને મહિલાઓ દ્વારા વહેલી તકે વળતર મુદ્દે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.













