Tuesday, June 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે સંપન્ન

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા રવિવાર, તા. 28 જૂનના રોજ આયોજિત “પારિવારિક સ્નેહ મિલન” કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને પારિવારિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં પરિષદના સભ્યો તથા તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદમય ક્ષણો માણી હતી.

ભારત વિકાસ પરિષદના સૂત્ર “સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ”ને સાર્થક કરતો આ કાર્યક્રમ સભ્યો વચ્ચે આત્મીયતા, પરસ્પર પરિચય અને પારિવારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સભ્યો અને તેમના પરિવારજનોએ સ્વિમિંગ પૂલ, બોક્સ ક્રિકેટ, ચિલ્ડ્રન ગાર્ડન સહિતની વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો માટે ખાસ રમતગમતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે વડીલો અને યુવાનો માટે પણ આનંદદાયક માહોલ સર્જાયો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન પરિવારના દરેક સભ્યના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સભ્યોએ આવા પારિવારિક મિલન કાર્યક્રમો દ્વારા પરિષદ પરિવાર સાથે વધુ આત્મીય રીતે જોડાવાની તક મળતી હોવાનું જણાવી ભારત વિકાસ પરિષદની આ પહેલને ખૂબ જ આવકારી હતી. સાથે પરિવારના સભ્યોના બાળકો જેને ધોરણ 10, ધોરણ 12 કે કોલેજ પૂર્ણ કરી હોય તેમને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવેલ. દિલીપભાઈ પરમાર દ્વારા ભારત વિકાસ પરિષદનો પરિચય તેમજ તેમના કાર્યો વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પંકજભાઈ ફેફર તેમજ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો તથા સભ્યોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન પરેશભાઈ મિયાત્રા એ ખુબ સુંદર રીતે કરી સૌ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા સમાજમાં સેવા, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ સતત યોજવામાં આવે છે. પરિષદના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા પરિવારકેન્દ્રિત, સામાજિક અને રાષ્ટ્રનિર્માણને પ્રેરણા આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે ભારત વિકાસ પરિષદના સચિવશ્રી વિશાલભાઈ બરાસરા દ્વારા તમામ સભ્યો, તેમના પરિવારજનો, સહયોગીઓ તથા કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સમાજસેવા અને સંસ્કારના કાર્યમાં જોડાવા ઇચ્છુક નાગરિકોને ભારત વિકાસ પરિષદ, મોરબીના સભ્ય બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સભ્યપદ અંગે વધુ માહિતી માટે મો. 99744 58658 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments