મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અનોખો સ્નેહ જોવા મળે છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા અભ્યાસ કરતી તમામ 414 જેટલી દીકરીઓને સગી દીકરી જેવો જ પ્રેમ અને હૂંફ આપવામાં આવે છે.
શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તેમની સાથે આત્મીયતાથી વર્તન કરે છે. વાર-તહેવારે, શિક્ષકોના જન્મદિવસે કે શિક્ષકોના ઘરે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બાળાઓને શૈક્ષણિક વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે અથવા તો તેમને ભાવતાં ભોજન કરાવવામાં આવે છે.
આ સુંદર પરંપરાના ભાગરૂપે શાળાના કર્મઠ શિક્ષક અશ્વિનભાઈ કલોલાએ પોતાના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેઓએ પોતાના જન્મદિન નિમિત્તે શાળાની 414 થી વધુ બાળાઓને તેમજ બંને શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનોને પ્રેમથી ભાવતાં ભોજન જમાડ્યા હતા.










