મોરબી જીલ્લામાં એક જ દિવસમાં બે આત્મહત્યાના બનાવ બન્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં પચ્ચીછવારીયા દલવાડી સર્કલ પાસે ૨૦ વર્ષીય યુવતીએ તો રૂપાવટી ગામની સીમમાં ૧૮ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હતી.
પ્રથમ બનાવની વિગત મુજબ, પચ્ચીસછવારિયા વિસ્તારમાં આર.કે. ક્લાસિક પાછળ રહેતા પલ્લવીબેન મનીષભાઈ રેણુકા (ઉ.વ. ૨૦) એ ગત રાત્રિના સમયે પોતાના મકાનના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનો તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. યુવતીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આત્મહત્યા પાછળના કારણો જાણવા તપાસ તેજ કરી છે.
જ્યારે બીજા બનાવની વિગત મુજબ, રૂપાવટી ગામની સીમમાં રહેતા ટમુબેન અરવિંદભાઈ બાવળીયા (ઉ.વ. ૧૮) ને ગત તારીખ ૨૯ એપ્રિલના રોજ તેમની માતાએ ભેંસો માટે ચારો (ઘાસ) વાઢવા માટે કહ્યું હતું. આ સામાન્ય વાતમાં યુવતીને મનમાં લાગી આવ્યું હતું અને તેણે ખેતરમાં રાખવાની ખળ બાળવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ શરૂ કરી છે.








