મોરબી શહેરમાં સતત વધી રહેલા વાહનોના દબાણ અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ શહેરના મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.
જાહેરનામા અનુસાર દલવાડી સર્કલથી લીલાપર ચોકડી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી તેમજ ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધીના માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ નિયમો 04 ઓગસ્ટ 2026 સુધી દરરોજ સવારના 08:00 વાગ્યાથી રાત્રિના 10:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે એસ.ટી. બસ, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કૂલ-કોલેજના વાહનો, ઇમરજન્સી સેવાઓ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતાં વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવવા માટે લીલાપર-ઉમિયા સર્કલ રોડ પર નવા વન-વે નિયમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેમાં લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળો માર્ગ વન-વે રહેશે, જ્યારે ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા માટે નિર્મલ સ્કૂલ વાળો માર્ગ વન-વે જાહેર કરવામાં આવ્યો છે. લીલાપર તરફથી આવતા વાહનો માટે શ્યામ ગ્લાસ વેર થઈ નિર્મલ સ્કૂલ વાળો રૂટ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાખવામાં આવ્યો છે. તેમજ ઉમિયા સર્કલથી લીલાપર જવા માટે અવની ચોકડીથી વર્ધમાન ચોકડી વાળો માર્ગ ઉપયોગમાં લેવા જણાવાયું છે. આ નિયમો 02 ઓગસ્ટ 2026 સુધી સવારના 07:00 થી રાત્રિના 10:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
જિલ્લા મેજીસ્ટ્રેટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતો માર્ગ પણ વન-વે જાહેર કર્યો છે. શહેરના સાંકડા રસ્તાઓ અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય મુજબ રવાપર ચોકડી કે નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અથવા પંચાસર-વાવડી ચોકડી તરફ જવાનું રહેશે. આ જાહેરનામું પણ 02 ઓગસ્ટ 2026 સુધી સવારના 07:00 થી રાત્રિના 10:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. જિલ્લા મેજીસ્ટ્રેટે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.











