મોરબી મહાનગર પાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોના ઉમેદવારો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આ વચ્ચે વોર્ડ નંબર 10 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણેશભાઈ ડાભીએ પોતાના જન્મદિવસને સેવા કાર્ય સાથે અનોખી રીતે ઉજવીને લોકચાહના મેળવી છે.
ગણેશભાઈ ડાભીએ જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને સ્નેહભર્યું ભોજન કરાવ્યું હતું. સાથે જ ગૌમાતાને ઘાસચારો વિતરણ કરીને સંસ્કાર અને સેવા ભાવનાનો સંદેશ આપ્યો હતો. તેમની આ પ્રેરણાદાય પહેલને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશભાઈ ડાભી સતવારા સમાજના આગેવાન તરીકે ઓળખાય છે અને સફળ ઉદ્યોગપતિ તરીકે પણ તેમની આગવી ઓળખ છે. તેઓ હંમેશાં સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહેતા આવ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન તેમણે જરૂરિયાતમંદોને સહાય પહોંચાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તેમના જન્મદિવસના અવસરે અનેક આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ તેમના સેવાકાર્યોની સરાહના કરી હતી. આવનારી ચૂંટણી પહેલા તેમની આ સેવા પ્રવૃત્તિએ મતદારોમાં સકારાત્મક પ્રતિભાવ ઊભો કર્યો હોવાનું માનવામાં આવે છે.















