મોરબી મહાનગર પાલિકાની ચૂંટણી આવતી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે રાજકીય ગરમાવો વધ્યો છે. આ દરમિયાન વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયાએ જનતાને અપીલ કરી છે.
ગઈકાલે મોરબીના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સ્વ. દેવિકાબેન મહેતા અને સ્વ. પરબતભાઈ કરોતરાની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા સહિત વોર્ડ નં. 9ના ભાજપ ઉમેદવારો નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા, ભગવતીબેન મહેશભાઇ (મુકેશ) કુંડારિયા અને હિરેનભાઈ પરબતભાઈ કરોતરા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જયંતિભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, સ્વ. દેવિકાબેન મહેતા અને સ્વ. પરબતભાઈ કરોતરાએ સમાજ માટે કરેલી સેવાઓ આજે પણ લોકોના દિલમાં જીવંત છે. તેમના કાર્યને આગળ વધારવા માટે હવે તેમના વારસદારો ઉમેદવાર તરીકે મેદાનમાં છે, ત્યારે તેમને જીતાડવી એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા પસંદ કરાયેલા ચારેય ઉમેદવારો યોગ્ય અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ ધરાવે છે. તેથી મતદાતાઓએ એકજૂટ થઈને ચારેય ઉમેદવારોને મત આપી “કમળ”નું પ્રતીક વિજયી બનાવવું જોઈએ.
જયંતિભાઈએ મોરબીના વિકાસ મુદ્દે કહ્યું કે, મોરબી હવે મહાનગર પાલિકા બનતાં વિકાસ માટે વધુ મોટું બજેટ મળશે અને રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ સાથે અનેક નવી યોજનાઓ અમલમાં આવશે. શિક્ષણને પ્રોત્સાહન આપવા દરેક વોર્ડમાં 24 કલાક લાઈબ્રેરી અને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પણ આયોજન છે. અંતમાં તેમણે મતદાતાઓને અપીલ કરી હતી કે, 26 એપ્રિલના રોજ વધુમાં વધુ મતદાન કરીને ભાજપના ચારેય ઉમેદવારોને વિજયી બનાવે અને મોરબીના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બને.









