મોરબી અને રાજકોટ જિલ્લામાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિશ્લેષક રમેશ બસિયાની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. ગરમીની અસર ખાસ કરીને આંતરિક અને સરહદી વિસ્તારોમાં વધુ જોવા મળશે.
રાજકોટ જિલ્લાના કણકોટ, કુવાડવા અને સરધાર જેવા વિસ્તારોમાં મોટાભાગના દિવસોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે, જ્યારે અમુક દિવસોમાં પારો 44 ડિગ્રીને પણ આંબી શકે છે. બીજી તરફ મોરબી જિલ્લાના હળવદ તેમજ સુરેન્દ્રનગર તરફના સરહદી વિસ્તારોમાં પણ 43 થી 44 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. ટંકારા અને વાંકાનેર વિસ્તારમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આમરણ અને તેની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 41 થી 42 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.
આગાહી મુજબ સમગ્ર સમયગાળા દરમિયાન હવામાન સૂકું રહેશે અને આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. વરસાદની કોઈ શક્યતા હાલ દેખાઈ રહી નથી. પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે, જેમાં 10 થી 12 મે દરમિયાન પવનની ઝડપ સામાન્ય રહેશે. જોકે 13 થી 15 મે દરમિયાન પવનની ગતિમાં વધારો થઈ શકે છે અને આ દિવસોમાં પવન 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, જ્યારે ઝટકાના પવન 35 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં હવામાનની સ્થિતિ સક્રિય જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા 12 મેના રોજ બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાનું હવામાન વિશ્લેષક રમેશ બસિયાએ જણાવ્યું છે.









