Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બિલિયા અને અણીયારી આરોગ્ય મંદિરો NQAS પ્રમાણપત્રથી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા

મોરબીના બિલિયા અને અણીયારી આરોગ્ય મંદિરો NQAS પ્રમાણપત્રથી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા

મોરબી : મોરબી જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્રે વધુ એક સૂવર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા National Quality Assurance Standards (NQAS) હેઠળ મોરબી તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-બિલિયા અને રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-અણીયારી એ ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે.

ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા

ભારતમાં સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે NQAS એ ગુણવત્તાનું સર્વોચ્ચ માપદંડ માનવામાં આવે છે. આ સર્ટિફિકેશન મેળવવા માટે આરોગ્ય કેન્દ્રોએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા અત્યંત કડક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડે છે. રાષ્ટ્રીય કક્ષાના એસેસરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં સેવા પ્રદાન, દર્દીના અધિકારો, ક્લિનિકલ કેર, સંસ્થાની સ્વચ્છતા અને સ્ટાફની કાર્યક્ષમતા જેવા વિવિધ પાસાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં બિલિયા આયુષ્માન આરોગ્ય મંદિર 94.09 % અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિર 93.82 % જેટલા માતબર ગુણ મેળવી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે.
ગ્રામ્ય સ્તરે આધુનિક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા

આયુષ્માન આરોગ્ય મંદિર યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ બંને કેન્દ્રોમાં માતૃત્વ સેવાઓ, શિશુ અને બાળ આરોગ્ય, કુપોષણ નિવારણ, કુટુંબ કલ્યાણ તેમજ ચેપી અને બિન-ચેપી રોગોના નિદાન અને સારવાર જેવી 12 જેટલી પાયાની સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં, ઇમરજન્સી સેવાઓ, માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન અને આયુષ-યોગ પદ્ધતિ જેવી વિશિષ્ટ સેવાઓની ઉપલબ્ધતાને કારણે નાગરિકોને નજીકમાં જ સુરક્ષિત અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે.

વહીવટી તંત્ર દ્વારા શુભેચ્છાઓ

આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય તંત્ર અને બંને કેન્દ્રોના સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ પ્રમાણપત્રને ગ્રામ્ય સ્તરે ગુણવત્તાસભર સેવાઓ આપવાના પ્રયત્નોની માન્યતા ગણાવી છે. જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ જણાવ્યું હતું કે આ સફળતા કર્મચારીઓના સમર્પણનું પરિણામ છે અને આગામી સમયમાં જિલ્લાની વધુ આરોગ્ય સંસ્થાઓ આ સન્માન મેળવે તે દિશામાં પ્રયત્નો ચાલુ રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments