મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક સિંચાઈ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અહીં નાલાનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી બાજુમાંથી એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જો કે, આ ડાયવર્ઝનમાંથી યોગ્ય રીતે માટી હટાવવાની કામગીરી પૂર્ણ કર્યા વિના જ તંત્ર દ્વારા ઉપરથી સીધું પાણી છોડી દેવામાં આવ્યું છે.
યોગ્ય આયોજન અને સાફ-સફાઈના અભાવે છોડવામાં આવેલું પાણી અત્યારે સીધું ડાયવર્ઝનમાંથી પસાર થઈ રહ્યું છે અને આસપાસના ભાગમાં ભરાઈ રહ્યું છે. એકતરફ નાલાનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે બીજીતરફ માટી કાઢ્યા વિના જ પાણી છોડી દેવાતા કામગીરી પર પણ અસર પડી રહી છે અને કિંમતી પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સિંચાઈ વિભાગની આ પ્રકારની અણઘડ નીતિ અને લાપરવાહીને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાકીદે આ બાબતે યોગ્ય નિકાલ કરવામાં આવે અને ડાયવર્ઝનમાંથી માટી હટાવી પાણીના પ્રવાહને વ્યવસ્થિત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.











